નિપુણ ગુજરાત: અમલીકરણ કાર્યયોજના અને સમયસારણી
શિક્ષણ ક્ષેત્રે પાયાની બાબતોને મજબૂત કરવા માટે 'નિપુણ ગુજરાત અમલીકરણ કાર્યયોજના અને સમયસારણી' એક અત્યંત મહત્વપૂર્ણ માળખું પૂરું પાડે છે. આ કાર્યયોજના અંતર્ગત શૈક્ષણિક વર્ષ દરમિયાન વિવિધ તબક્કે સર્વેક્ષણ, જૂથ વહેંચણી અને ઉપચારાત્મક કાર્યનું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર પ્રક્રિયામાં શિક્ષકોથી લઈને ઉચ્ચ સ્તરીય અધિકારીઓ સુધીની જવાબદારીઓ અને નિરીક્ષણની કામગીરી સ્પષ્ટ રીતે વહેંચવામાં આવી છે.
શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં, એટલે કે આગામી ઓગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયામાં વર્ગશિક્ષક દ્વારા બેઝલાઈન સર્વે અને RIK માહિતી માટે કસોટી યોજી ડેટા એન્ટ્રી કરવામાં આવશે. આ કસોટીના પરિણામોના આધારે બાળકોને ત્રણ જૂથમાં વહેંચવામાં આવશે, જેથી તેમની ક્ષમતા મુજબ શિક્ષણ આપી શકાય. આ કસોટી નિષ્પક્ષ અને તટસ્થતાથી થાય તેનું નિરીક્ષણ શાળાના આચાર્ય કરશે, જ્યારે BRCCO, AEI, TPEO, ડાયટ લાયઝન, DPEO અને ડાયટ પ્રાચાર્ય જેવા અધિકારીઓ રેન્ડમ રીતે ઓછામાં ઓછી પાંચ શાળાઓની મુલાકાત લઈ સમીક્ષા અને માર્ગદર્શન આપશે. બેઝલાઈન સર્વે બાદ, ઓગસ્ટથી ઓક્ટોબર દરમિયાન શિક્ષકો દ્વારા બાળકોના જૂથ મુજબ સઘન ઉપચારાત્મક કાર્ય કરવામાં આવશે. આ સમયગાળામાં આચાર્ય શાળાના તમામ વર્ગોના FLN શિક્ષણકાર્યનું નિરીક્ષણ કરશે અને CRCCo., BRCCo. તથા નિપુણ BRP સમયાંતરે શાળા મુલાકાત લઈ પ્રગતિની સમીક્ષા કરી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડશે.
કાર્યયોજનાના બીજા તબક્કામાં, ડિસેમ્બર માસના પ્રથમ અઠવાડિયામાં શિક્ષકો દ્વારા મીડ-લાઈન સર્વે અને ડેટા એન્ટ્રીનું કાર્ય કરવામાં આવશે. આ કસોટીના પરિણામ આધારે ફરીથી બાળકોની ત્રણ જૂથમાં વહેંચણી થશે અને જે બાળકો 'નિપુણ' કક્ષાએ પહોંચી સિદ્ધિ પ્રાપ્ત કરશે, તેમને મુખ્ય પ્રવાહ સાથે જોડવામાં આવશે. આ પ્રક્રિયાની પારદર્શિતા જાળવવા આચાર્યશ્રી, બીઆરસી, કેળવણી નિરીક્ષક અને અન્ય ઉચ્ચ અધિકારીઓ કસોટી સમયનું અને જૂથ નિર્માણનું અગાઉની જેમ જ નિરીક્ષણ અને સમીક્ષા કરશે. મીડ-લાઈન સર્વે પૂર્ણ થયા બાદ, ડિસેમ્બરથી માર્ચ મહિના સુધી ફરી એકવાર શિક્ષકો દ્વારા બાળકોની જરૂરિયાત મુજબ જૂથવાર ઉપચારાત્મક કાર્ય હાથ ધરવામાં આવશે, જેમાં વિવિધ સ્તરેથી પ્રગતિની સમીક્ષા અને માર્ગદર્શન આપવાનું કાર્ય ચાલુ રહેશે.
વર્ષના અંતિમ તબક્કામાં, એપ્રિલ માસમાં વાર્ષિક પરીક્ષા પહેલાં વર્ગશિક્ષક દ્વારા એન્ડલાઈન કસોટી અને ડેટા એન્ટ્રીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ અંતિમ કસોટીના આધારે સિદ્ધિ પ્રાપ્ત કરેલા બાળકોને મુખ્ય પ્રવાહમાં જોડવામાં આવશે અને આગામી શૈક્ષણિક વર્ષ માટે પરિણામના આધારે બાળકોને ફરીથી ત્રણ જૂથમાં વહેંચવામાં આવશે. સમગ્ર વર્ષ દરમિયાન લેવાનાર આ કસોટીઓ અને જૂથ નિર્માણ યોગ્ય રીતે થાય તેની સમીક્ષા કરવા માટે બીઆરસી, કેળવણી નિરીક્ષક, ડાયટ લાયઝન, TPEO, DPEO અને ડાયટ પ્રાચાર્ય દ્વારા રેન્ડમ રીતે ઓછામાં ઓછી પાંચ શાળાઓનું નિરીક્ષણ કરવામાં આવશે, જેથી શિક્ષણ વ્યવસ્થા વધુ અસરકારક અને પરિણામલક્ષી બની શકે.
લેખન - સોનલ ચૌહાણ, વ્યાખ્યાતા, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, રાજકોટ.
No comments:
Post a Comment