વૈજ્ઞાનિક રીતે જોઈએ તો બાળકના મગજનો ૮૫% થી વધુ વિકાસ ૬ વર્ષની ઉંમર પહેલાં થઈ જાય છે. આ જ કારણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020) અંતર્ગત 'નિપુણ ભારત મિશન' શરૂ કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ધોરણ બાલવાટિકાથી ધોરણ 8 સુધીના તમામ બાળકોમાં પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન (FLN) સુનિશ્ચિત કરવાનો છે.
પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન એટલે શું? ● પાયાની સાક્ષરતા (Foundational Literacy): બાળક માત્ર અક્ષરો ઓળખે એટલું જ પૂરતું નથી, પરંતુ તે સમજણપૂર્વક વાંચી શકે, પોતાના વિચારો મૌખિક કે લેખિત સ્વરૂપે રજૂ કરી શકે અને અર્થગ્રહણ કરી શકે. ● પાયાનું સંખ્યાજ્ઞાન (Foundational Numeracy): રોજિંદા જીવનમાં ગણિતનો તાર્કિક ઉપયોગ. જેમ કે, સંખ્યાઓની ઓળખ (૧ થી ૯૯૯૯), સરવાળા-બાદબાકી, આકારો, વજન અને માપનની પાયાની સમજ મેળવવી, વ્યવહારુ કોયડા ઉકેલવા, ડેટા હેન્ડલિંગ કરવું તેમજ પેટર્નની સમજ હોવી. FLN ના મુખ્ય ફાયદાઓ ● ગોખણપટ્ટીથી મુક્તિ અને સર્જનાત્મકતા: FLN પ્રવૃત્તિ આધારિત અને રમત-ગમત દ્વારા શિક્ષણ (Play-way method) પર ભાર મૂકે છે. પરિણામે, બાળકો ગોખણપટ્ટી કરવાને બદલે જાતે શીખતા થાય છે અને તેમની વિચારવાની ક્ષમતા વધે છે. ● આગામી ધોરણો માટે સરળતા: જો બાળક ધોરણ 2 સુધીમાં વાંચતા, લખતા અને ગણતા શીખી જાય, તો આગળના ધોરણો (ધોરણ 3 અને તેથી ઉપર) નો અભ્યાસક્રમ સમજવો તેના માટે એકદમ સરળ બની જાય છે. ● ડ્રોપ-આઉટ રેશિયોમાં ઘટાડો: ઘણીવાર પાયો કાચો હોવાને કારણે બાળકો આગળ જતાં ભણવામાં પાછળ રહી જાય છે અને શાળા છોડી દે છે. FLN ના કારણે બાળકનો શાળા પ્રત્યેનો ડર દૂર થાય છે અને શાળામાં બાળકોની હાજરી તેમજ રસ વધે છે. ● આત્મવિશ્વાસમાં વધારો: જ્યારે બાળક જાતે નાની વાર્તાઓ વાંચી શકે છે કે નાની ગણતરીઓ કરી શકે છે, ત્યારે તેનામાં એક અનોખો આત્મવિશ્વાસ પેદા થાય છે, જે તેના સમગ્ર વ્યક્તિત્વનો વિકાસ કરે છે. ● રોજિંદા જીવનમાં ઉપયોગી: આ સ્તરે શીખેલું ગણિત અને ભાષા બાળકને વ્યવહારિક જીવનમાં (જેમ કે વસ્તુઓની ગણતરી કરવી, દુકાનેથી સામાન ખરીદવો, બોર્ડ વાંચવા) ખૂબ જ મદદરૂપ બને છે.
"શિક્ષણનો સાચો પાયો એટલે FLN." જો શરૂઆતથી જ બાળકને યોગ્ય દિશા અને ગુણવત્તાયુક્ત પાયાનું શિક્ષણ મળી જાય, તો આવતીકાલનું ભારત વધુ સક્ષમ, જ્ઞાની અને આત્મનિર્ભર બનશે. શાળા, શિક્ષકો અને વાલીઓનો સંયુક્ત પ્રયાસ જ બાળકને ખરા અર્થમાં 'નિપુણ' બનાવી શકે છે.
લેખન પ્રસ્તુતિકરણ – રાજન જગદીશભાઈ ભાલોડીયા, શ્રી બેટાવડ પ્રાથમિક શાળા, તા.ગોંડલ, જિ.રાજકોટ
1 comment:
ખૂબ જ સરસ રાજનસાહેબ. સામાન્ય બાળક ને મેઘાવી તરફ લઈ જવા , સક્ષમ FLN જરૂરી છે. વાલીશ્રી, શાળા અને શિક્ષકો ના સંયુક્ત પ્રયાસો થકી જ નિપુણતા મળશે.
Post a Comment