નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત સાથે જ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર શાળાએ આવતા હોય છે, પરંતુ લાંબા વેકેશનના કારણે બાળકો ઘણીવાર પૂર્વજ્ઞાન અથવા આગળના ધોરણની પાયાની બાબતો ભૂલી જાય છે અથવા તેમની સ્મૃતિઓ ઝાંખી થઈ જાય છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને જીસીઈઆરટી (GCERT) દ્વારા ધોરણ ૩ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી અને ગણિત વિષયને લઇ એક વિશેષ 'બ્રિજ કોર્સ' (વર્ગ તત્પરતા કાર્યક્ષમ સાહિત્ય) તૈયાર કરવામાં આવ્યો છે. આ સાહિત્યનો મુખ્ય હેતુ બાળકને જે નવું જ્ઞાન મેળવવાનું છે, તેના પાયાને મજબૂત કરવાનો છે, કારણ કે પૂર્વજ્ઞાન પાકું હોય તો જ આગળનું શિક્ષણ સરળ બને છે. આ કોર્સની મુખ્ય વિશેષતા એ છે કે અગાઉના વર્ષોની જેમ આ વખતે વિદ્યાર્થીઓને અલગથી વર્કબુક આપવામાં આવતી નથી. તેના બદલે શિક્ષકો માટે એક વિસ્તૃત માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે, જેના આધારે શિક્ષક પોતે જ વર્ગખંડમાં પ્રવૃત્તિઓ કરાવે છે. વર્ગખંડમાં વધુ પડતું લખાણ આપવાને બદલે ખૂબ ઓછી પણ ચોક્કસ ક્ષમતાઓ ખીલવે તેવી પ્રવૃત્તિઓ સામેલ કરાઈ છે, કારણ કે ઓછું વિષયવસ્તુ બાળકોને વધુ અસરકારક રીતે શીખવવામાં મદદરૂપ બને છે. આ સાહિત્યમાં રાષ્ટ્રીય પરખ સર્વેક્ષણ (NAS) ને ધ્યાનમાં રાખીને મુખ્યત્વે વાચન, લેખન અને ગણન જેવી ગેટવે સ્કિલ્સ (પાયાની કુશળતાઓ) પર જ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલ છે. આ માટે શિક્ષક પ્રત્યેક વિદ્યાર્થીને અલગથી નોટબુક બનાવીને બ્રિજકોર્સની પ્રવૃત્તિઓ અન્વયે વિદ્યાર્થીની પ્રગતિ ચેક કરી શકે છે.
સમગ્ર
સમયગાળા અને સાપ્તાહિક માળખાની વાત કરીએ તો આ કોર્સ સામાન્ય રીતે ૪ સપ્તાહ એટલે કે
૧ મહિના માટે દૈનિક આયોજન મુજબ ચાલે છે. વર્તમાન વ્યવસ્થા પ્રમાણે, પ્રથમ
દિવસથી ચોથા દિવસ સુધી વિદ્યાર્થીઓ પાસે વર્ગખંડમાં ગણિત અને ગુજરાતીની પાયાની
પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. ત્યારબાદ પાંચમા દિવસે વિદ્યાર્થીઓનું સાદું અને
રચનાત્મક મૂલ્યાંકન હાથ ધરાય છે. આ મૂલ્યાંકન પછી પાંચમા અને
છઠ્ઠા દિવસે જે બાળકો હજુ પણ ક્યાંક પાછળ રહી ગયા હોય કે નબળા જણાય, તેમના માટે
શિક્ષકો વર્ગખંડમાં જ વિશેષ ઉપચારાત્મક કાર્ય (Remedial Work) કરે છે. આ
રીતે દર અઠવાડિયે બાળકોની કચાસ દૂર કરીને તેમને મુખ્ય પ્રવાહમાં લાવવાનો સતત
પ્રયત્ન થાય છે.
આ બ્રિજ
કોર્સમાં પ્રવૃત્તિઓનું સ્વરૂપ એવું રાખવામાં આવ્યું છે જેમાં શિક્ષક અને
વિદ્યાર્થી બંને સરખા સક્રિય રહે છે. ઉદાહરણ તરીકે, ગુજરાતી વિષયમાં મૌખિક ભાષા સજ્જતા માટે "મારું ઘર અને
કુટુંબ" જેવી પ્રવૃત્તિમાં બાળકોને વર્તુળમાં બેસાડી કાગળનો દડો ફેંકીને
મનોરંજક પ્રશ્નો પૂછવામાં આવે છે. જેમ કે- "તમારા ઘરમાં સૌથી જૂની વસ્તુ કઈ
છે?". આનાથી
બાળકની વિચારવાની શક્તિ ખીલે છે અને ત્યારબાદ તેઓ પોતાની નોટબુકમાં થોડા શબ્દો કે
વાક્યો જાતે લખે છે. તેવી જ રીતે ગણિત વિષયમાં કાંકરા કે લખોટીની રમતો દ્વારા
બાળકોને જૂથ બનાવીને સ્થાન કિંમત,
ચડતો-ઉતરતો ક્રમ અને સરવાળા-બાદબાકી જેવા વ્યવહારુ કોયડાઓ રમતા રમતા શીખવવામાં
આવે છે. કોઈપણ પ્રવૃત્તિ પૂરી થયા પછી 'અનુચિંતન' (Reflection) કરવામાં
આવે છે. શિક્ષક બાળકો સાથે ચર્ચા કરે છે કે "આપણે આ પ્રવૃત્તિમાં શું કર્યું?", "આપણને
ક્યાં તકલીફ પડી?"
અને "આવું આપણે શા માટે કર્યું હશે?".
આ ઉપરાંત, દરેક
શિક્ષકે સાહિત્યમાં આપેલી કોરી જગ્યામાં પોતાનો પ્રતિભાવ (ફીડબેક) નોંધવાનો હોય છે, જેથી આગામી
સમયમાં આ કોર્સને વધુ બહેતર બનાવી શકાય.
બ્રિજ કોર્સનો અંતિમ ઉદ્દેશ્ય એ છે કે દરેક બાળક જે ધોરણમાં આવ્યું છે, તે ધોરણને અનુરૂપ લઘુત્તમ પાયાની ક્ષમતાઓ સિદ્ધ કરે. આ સાહિત્યની સોફ્ટ કોપી જીસીઈઆરટીની વેબસાઇટ પર ઉપલબ્ધ છે અને રાજકોટ ડાયટના બ્લોગ https://dietrjt.blogspot.com/ પણ મૂકવામાં આવેલ છે. વર્ગખંડમાં અધ્યયન-અધ્યાપન દરમિયાન જરૂરિયાત મુજબ શિક્ષકો આ પ્રવૃત્તિઓમાં યોગ્ય ફેરફાર પણ કરી શકે છે. શાળાઓમાં શિક્ષણનું વાતાવરણ જીવંત બને અને દરેક બાળકનો પાયો મજબૂત થાય તે દિશામાં આ એક ખૂબ જ પ્રશંસનીય અને પ્રગતિશીલ પગલું છે.
સોનલ ચૌહાણ, વ્યાખ્યાતા
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, રાજકોટ
No comments:
Post a Comment